- પહેલાં વિશ્વાસ સંપાદન કરી અને બાદમાં અમદાવાદમાં જમીન ખરીદી કરી હોવાનું જણાવી હાથ ઉછીના નાણાં માંગી રકમ પરત ન કરી છેતરપીંડી
મોરબીના વેપારી સાથે બે ઇસમોએ કેન્દ્ર સરકારના વિદેશ વિભાગના મહત્વના કર્મચારી હોવાનો તથા વહીવટ કરતા હોવાનો સ્વાંગ રચી ખોટી ઓળખ આપી ૭૫ લાખ રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવતા આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના નઝરબાગ રોડ પર ઓમ એપાર્ટમેન્ટના રહેવાસી અનિલભાઈ જમનાદાસ ઠક્કરે આરોપી પંકજકુમાર ફકીરચંદ સોલંકી અને પ્રેમસાગર ફકીરચંદ સોલંકી (રહે. બંને અમદાવાદ) વિરુદ્ધ ચીટીંગની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૬માં તેઓ અમદાવાદ મિત્ર જયદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાને મળવા ગયા હતા ત્યારે અમદાવાદ રહેતા પંકજસિંહ ફકીરચંદ સોલંકી સાથે ઓળખાણ કરાવી હતી. જે સમયે તેઓએ જણાવ્યું હતું કે, જમીન મિલકત લે વેચનું કામ કરે છે. તેઓ જુના આઈઆરએસ થયેલ છે. જે અગાઉ ભારત સરકારના વિદેશ વિભાગમાં ઇંગ્લેન્ડ ફરજ બજાવતા હતા અને વર્લ્ડ બેંક યુકેમાં મોટા હોદા પર હતા. તેઓ હાલ વીવીઆઈપીના વિદેશ કાર્યક્રમોની ઇવેન્ટ મેનેજમેન્ટ કામ કરે છે.
એ મુલાકાત બાદ જુન મહિનામાં બે વખત તેઓ ટીંબડી પાટિયા પાસે આવેલ નવરચના સ્ટોન યુનીટે આવ્યા હતા અને વીવીઆઈપી કાર્યક્રમ માટે સોમનાથના કોન્ટ્રાકટરને રૂપિયા આપવાના હોય હજુ દિલ્હીથી રૂપિયા આવ્યા નથી જેથી નાણાની જરૂરત હોવાનું કહીને ૧૦ લાખની માંગણી કરતા પંકજસિંહને રૂા. ૧૦ લાખની વ્યવસ્થા કરી આપી હતી. જે દસ દિવસમાં પરત આપી દીધા હતા અને આરોપીએ વ્યવહાર ચોખ્ખો છે એવી છાપ ઉભી કરી હતી.
બાદમાં જુલાઈ મહિનાના પ્રારંભે કહેલું કે અમદાવાદ જમીન ખરીદી કરી છે અને બે કરોડની રકમની જરૂર છે. બે ત્રણ મહિના માટે ૨ કરોડ હાથ ઉછીના આપે તો જમીન ખરીદીમાં સરળતા રહે અને બાકીના નાણા માલિકને ચૂકવી ના શકે તો મોટું નુકશાન થશે તેવું કહેતા ફરિયાદીએ ભાગીદારી પેઢી જેઠવા સ્ટોન પ્રોડક્ટમાંથી આરટીજીએસ તા. ૫-૮-૨૦૧૭ ના રોજ રૂા. ૨૫ લાખ અને તા. ૧૯-૯-૨૦૧૯ ના રોજ ૫૦ લાખ કરી આપ્યું હતું. બાદમાં ૭૫ લાખ ચુકવવા માટેની કબુલાત તા. ૩-૭-૨૦૨૨ના રોજ સાણંદના નોટરી જી કે સોલંકી સમક્ષ રૂા. ૩૦૦ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ લખાણ કરી આપેલ પરંતુ બાદમાં કોરોના બાદ જમીન વેચાતી નથી અને મંદીના કારણે અવારનવાર વાયદા આપવા છતાં રૂપિયા પરત આપ્યા ના હતા.
આમ મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી ના ડાયરેક્ટર પંકજકુમાર ફકીરચંદ સોલંકી અને પ્રેમસાગર ફકીરચંદ સોલંકી (રહે. બંને અમદાવાદ)એ ગુનાહિત કાવતરું રચીને આરોપી પંકજ દ્વારા ફરિયાદી વેપારીને રાજપૂત સમાજમાંથી આવતા હોવાની ખોટી ઓળખ અને પરિચય આપી વીવીઆઈપીના અંગત મિત્ર અને કેન્દ્ર સરકારના વિદેશ વિભાગના મહત્વના કર્મચારી અને વહીવટ કરતા હોવાની ઓળખ આપી ૭૫ લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
https://ift.tt/MCTFmXd
0 ટિપ્પણીઓ