સ્વચ્છતા સર્વે : ઈન્દોર સતત છઠ્ઠી વખત સૌથી સ્વચ્છ શહેર, સુરત બીજા ક્રમે


- અમદાવાદ સતત ચોથા વર્ષે દેશનું સૌથી સ્વચ્છ મેગા સિટી

- રાજ્યોમાં મધ્ય પ્રદેશ પહેલા ક્રમે, છત્તિસગઢ બીજા, મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે આવ્યા : નાના રાજ્યોમાં ત્રિપુરાએ બાજી મારી

- ગંગાના કાંઠે આવેલા શહેરોમાં હરિદ્વાર પહેલા, વારાણસી બીજા, ઋષિકેશ ત્રીજા ક્રમે 

નવી દિલ્હી : સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શનિવારે સ્વચ્છતા રેન્કિંગની જાહેરાત કરાઈ હતી. દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં ઈન્દોર સતત છઠ્ઠા વર્ષે પહેલા સ્થાને આવ્યું છે જ્યારે સુરત બીજા ક્રમે છે. એ જ રીતે અમદાવાદે સતત ચોથા વર્ષે દેશના સૌથી સ્વચ્છ મેગાસિટીનો પહેલો ક્રમ જાળવી રાખ્યો છે. રાજ્યોના સંદર્ભમાં મધ્ય પ્રદેશ પહેલા ક્રમે છે. 

નાના રાજ્યોમાં પહેલો ક્રમ ત્રિપુરાએ મેળવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વિજેતા શહેરોને અભિનંદન આપતા સ્વચ્છતા માટે ઈન્દોર મોડેલ દેશમાં લાગુ કરવા પર ભાર મૂક્યો હતો. દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની હાજરીમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના કેન્દ્રીય મંત્રી હરદીપસિંગ પુરીએ સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૨ના વિજેતાઓની જાહેરાત કરી હતી. હવે સ્વચ્છતા મિશન હેઠળ કચરા મુક્ત શહેરનું લક્ષ્ય રખાયું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આ સર્વેક્ષણમાં મધ્ય પ્રદેશનું ઈન્દોર શહેર સતત છઠ્ઠી વખત ભારતના સૌથી સ્વચ્છ શહેર બન્યું છે જ્યારે ગુજરાતનું સુરત શહેર બીજા ક્રમે અને નવી મુંબઈ ત્રીજા ક્રમે છે. એક લાખથી વધુ વસતીવાળા શહેરોની આ શ્રેણીના ટોપ-૧૦ શહેરોમાં વિશાખાપટ્ટનમ, વિજયવાડા, ભોપાલ, તિરુપતિ, મૈસૂર, નવી દિલ્હી અને અંબિકાપુરનો સમાવેશ થાય છે. આ સેગ્મેન્ટમાં ૧૦૦ શહેરોની યાદીમાં આગરા સૌથી છેલ્લા ક્રમે છે.

'સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ ૨૦૨૨'માં સર્વેશ્રેષ્ઠ દેખાવ કરનારા રાજ્યોની શ્રેણીમાં મધ્ય પ્રદેશે પહેલું સ્થાન મેળવ્યું છે. ત્યાર પછી છત્તીસગઢ અને મહારાષ્ટ્ર અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. આ વર્ષે મોટા શહેરોની શ્રેણીમાં ઈન્દોર અને સુરતે તેમના ક્રમ જાળવી રાખ્યા હતા જ્યારે વિજયવાડાને હટાવીને નવી મુંબઈએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો.

સ્વચ્છ સર્વેક્ષણની મેગાસિટીની કેટેગરીમાં સતત ચોથા વર્ષે અમદાવાદ પહેલાં ક્રમે આવ્યું છે. દેશમાંથી લગભગ ૪,૫૭૫ શહેરોમાં ૪૦ લાખથી વધુ વસતીવાળા શહેરોની યાદીમાં અમદાવાદે મેદાન માર્યું છે. આ સર્વેક્ષણોમાં અમદાવાદે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં ૧૪મો જ્યારે ૨૦૧૮માં ૧૨મો ક્રમ મેળવ્યો હતો. 

સર્વેક્ષણના પરિણામો મુજબ ૧૦૦થી ઓછા શહેરી સ્થાનિક એકમોવાળા રાજ્યોમાં ત્રિપુરાએ ટોચનું સ્થાન મેળવ્યું છે. એ જ રીતે એક લાખથી ઓછી વસતીવાળા શહેરોની શ્રેણીમાં મહારાષ્ટ્રનું પંચગની પહેલા સ્થાને રહ્યું છે. ત્યાર પછી છત્તિસગઢનું પાટન (એનપી) અને મહારાષ્ટ્રનું કરહડ બીજા અને ત્રીજા ક્રમે છે. ગંગાના કિનારે વસેલા શહેરોની શ્રેણીમાં હરિદ્વાર સૌથી સ્વચ્છ શહેર રહ્યું. આ કેટેગરીમાં વારાણસી બીજા અને ઋષિકેશ ત્રીજા ક્રમે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશન હેઠળ ૨૦૧૬માં પહેલી વખત દેશના ૪૦૦થી વધુ શહેરોને કચરાના વ્યવસ્થાપન અને શૌચાલયોની સુવિધા પૂરી પાડવાના લક્ષ્ય સાથે સ્વચ્છતાના ધોરણો પર ક્રમાંક આપવા 'સ્વચ્છ' સર્વેક્ષણ શરૂ કરાયો હતો. 

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં શરૂ કરાયેલા સ્વચ્છ સર્વેક્ષણનો વ્યાપ વર્ષોવર્ષ વધારવામાં આવ્યો છે. ૨૦૧૬માં ૭૩ શહેરથી શરૂ કરાયેલા સર્વેક્ષણમાં ૨૦૧૭માં ૪૩૪ શહેરોનો સમાવેશ કરાયો હતો. હવે સ્વચ્છ સર્વેક્ષણની ૭મી આવૃત્તિ ૪,૩૫૫ શહેરો સાથે વિશ્વનો સૌથી મોટો શહેરી સ્વચ્છતા સર્વે બની ગયો છે. આ સર્વેક્ષણમાં ૯૧ ગંગા શહેરો, ૬૨ કેન્ટોનમેન્ટ ઝોન સહિત ૪,૩૫૪ શહેરોને આવરી લેવાયા છે. આ સર્વેક્ષણમાં ૯ કરોડથી વધુ લોકોના ફીડબેક રેકોર્ડ કરાયા હતા. ગયા વર્ષે આ સંખ્યા પાંચ કરોડ હતી.

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FbyxQR9 https://ift.tt/Fa6pHeD

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ