આણંદમાં 60 ફૂટના રાવણના પુતળાના દહન માટેની તૈયારીઓ પૂરજોશમાં


- પુષ્પક વિમાનમાં સવાર રાવણનું પુતળું આકર્ષણ જમાવશે

- અરોરા-પંજાબી સમાજ દ્વારા 67 વર્ષથી ઉજવાતો રાવણ દહનનો કાર્યક્રમ

આણંદ : દૈવીશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ મહોત્સવના સમાપન સાથે અસત્ય પર સત્યના વિજયનું મહાપર્વ એટલે કે વિજ્યાદશમી પર્વની આણંદ શહેર સહિત જિલ્લાભરમાં બુધવારના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આણંદમાં દશેરા પર્વને લઈ અરોરા-પંજાબી સમાજ દ્વારા છેલ્લા ૬૭ વર્ષથી કરવામાં આવતા આયોજન મુજબ રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય થયો તે દિવસને વિજ્યાદશમી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો તે દિવસ આસો સુદ દસમ હતી તેથી તેને દશેરા તરીકે પણ મનાવવામાં આવે છે. આણંદ શહેરમાં દશેરા પર્વે પંજાબી-અરોરા સમાજ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું છેલ્લા ૬૭ વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે વર્ષ ૨૦૨૧માં કોરોના ગાઈડલાઈનના અમલીકરણના કારણે ૧૫ ફુટના રાવણનું પ્રતિકાત્મક દહન કરીને પર્વની ઉજવણી કરાઈ હતી. પરંતુ આ વર્ષે ૬૦ ફૂટના રાવણના પુતળાના દહન માટેની તૈયારીઓ પૂરજોશમાં આરંભી દેવાઈ છે. મૂળ ઉત્તરપ્રદેશના અને વર્ષોથી અમદાવાદ સ્થાયી થયેલા કારીગરો દ્વારા આણંદમાં જ રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પુષ્પક વિમાનમાં બિરાજમાન રાવણનું પુતળું નાગરિકોમાં આકર્ષણ જમાવશે. આગામી બે દિવસમાં પૂતળું તૈયાર થયા બાદ તેમાં દારૂખાનું અને આતશબાજી ફાયર ગોઠવવામાં આવનાર છે અને બાદમાં આગામી તા.૪ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ આ પૂતળાને શહેરના વ્યાયામશાળા મેદાન ખાતે ઉભુ કરવામાં આવશે.આણંદ શહેરમાં અરોરા પંજાબી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિજ્યાદશમી તહેવારનું આયોજન તા.૦૫-૧૦ને બુધવારના રોજ કરાયુ છે. બપોરે શહેરની લક્ષ્મી ટોકિઝ પાછળની ધર્મશાળા ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. આ શોભાયાત્રા વેન્ડોર ચોકડી, જીપીઓ રોડ, સરકારી દવાખાના, સ્ટેશન રોડ, ગામડી વડ, લોટીયા ભાગોળ થઈને વ્યાયામ શાળા ખાતે પહોંચશે. જ્યાં સાંજે ૬ઃ૩૦ કલાકે રાવણના પૂતળાનું ઈલેક્ટ્રીક દહન કરવામાં આવશે.



https://ift.tt/kWB2vtM

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ